વડતાલધામમાં “સ્વામિનારાયણ “મહામંત્રના રરરમા પ્રાગટ્યની ૨૧ કુંડી યજ્ઞ સાથે ઉજવણી અને રવિસભા સંપન્ન થઈ

By: nationgujarat
07 Jan, 2024

વડતાલઃ વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારે સફલા એકાદશીના શુભ દિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના રરરમા પ્રાગટય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ-ખંભાત થી ૫૦૦ ઉપરાંત સંતો-ભક્તો પદયાત્રા કરી વડતાલ પધાર્યા હતા. જયારે બુધેજથી નારાયણચરણ સ્વામી ભક્તો સાથે બાઈક-કાર રેલી સાથે વડતાલ પધાર્યા હતા. જયારે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા, વડતાલ મંદિરના કોઠારી ડા.સંત સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, શ્રીવલ્લભ સ્વામી, રાજકોટ ગુરુકુળના નારાયણ સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ પાઠશાળાના હરિઓમ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર પોથીના પૂજનબાદ આરતી ઉતારી હતી.

આ પ્રસંગે ડૉ.સંત સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવ્યો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૨૨ વર્ષ પૂર્વે ફરેણીમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો હતો. આ પ્રાગટ્યદિન નિમિત્તે મંદિર પરિસરમાં અખંડધૂન, અખંડ કેસર જળથી શ્રી ઘનશ્યામ મહારાજને અભિષેક ભક્તો ધ્વારા કરી ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ૨૧ કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૨૨ ભક્તો તથા લક્ષ્મીનારાયણ દેવ પાઠશાળાના ભુદેવો ધ્વારા મહામંત્રની આહુતિ આપવામાં આવી હતી. રાજકોટના નારાયણ સ્વામીએ કૃષ્ણજીવનદાસજી સ્વામી તથા જ્ઞાનબાગના પાર્ષદવર્ય પૂ.કાનજીભગતનો ઉલ્લેખ કરી વર્ષો પૂર્વે અખંડધૂનના કરાવેલા આરંભને વધાવ્યો હતો. સાથે દ્વિશતાબ્દી મહોત્સવ દરમ્યાન ગામડે-ગામડે ધૂનની આહર્ષક જગાવવા ભક્તોને આહવાન કર્યુ હતું. ડૉ.સંત સ્વામીએ જણાવ્યું હતું કે હજુ ૨૨૨ વર્ષ થયા છે. અમે આજે તો દરેક દેશમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરોના નિર્માણ સાથે શ્રી સ્વામિનારાયણની ધજા લહેરાઈ રહી છે.

દરેક સત્સંગી ભક્તોએ મહામંત્રનો બને તેટલો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. જ્યારે ઉત્સવપ્રિય શ્યામવલ્લભ સ્વામીએ વડતાલ તથા સુરત ગુરુકુળમાં ચાલતી અખંડધૂનનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે વડોદરા – વાઘોડીયા રોડની સત્સંગી બહેનોએ તેઓ ઘરે જઈ ૨૦૧ કલાકની ધૂન કરશે. આદિવાસી વિસ્તાર સંખેડા તાલુકાના રતનપુર, વટવટીયા, બોર તલાવ વિગેરે ગામોના નવા ૨૦૦ ઉપરાંત આદિવાસી સત્સંગી બહેનો ધૂન માટે વડતાલ આવ્યા હતા. વડતાલની કાયમી ધૂનની ગોઠવણીની સેવા કરતા યોગેશ મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાગટ્ય દિન નિમિત્તે વડોદરા, નારણપુરા, સુવાલીયા, ઉમરેઠ, તારાપુર, વહેરા વગેરે ૩૦ ઉપરાંત ગામોનાં હરિભક્તોનો ધૂનમાં જોડાયા હતા. એકાદશીના શુભ દિને ૧૦ હજાર થી વધુ ભક્તો કથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહામંત્ર પ્રાગટ્ય દિને બપોરે ૩ થી ૬ કલાક દરમ્યાન ૮૪ મી રવિસભા યોજાઈ હતી. જેનો ૩ હજારથી વધુ સ્ત્રી-પુરૂષ હરિભક્તોએ લાભ લીધો હતો.

વિધાનસભાનાં નાયબ દંડક – કૌશીકભાઈ વેકરીયાએ અભિષેક – કથા દર્શનનો લાભ લીધો.


Related Posts

Load more